કાવ્યો

દિવ્ય આત્માઓ,

તમોએ ચંદ્ર પૂકાર ની વેબસાઈટ પર પધારી મને ઘણોજ આનંદ આપ્યો છે.

તમો હોમપેજ ( HOME ) પર પધાર્યા અને તમારૂ સ્વાગત કર્યું એમાં કંઈક ખામી કે ભૂલ થઈ હોય તો ક્ષમા ચાહું છુ.

તમોએ “મારી જીવન ઝરમર” વિભાગે આવી મારી જીવન ઝલક વાંચી એ માટે ખુબ ખુબ આભાર.

હવે, તમો મારા મુખ્યપાન પર પધાર્યા છો. આ પાન પર જ મેં મારા હ્રદયની પુકાર શબ્દોમાં મુકી છે, જે થકી કાવ્યો, સુવિચારો અને ટૂંકીવાર્તાઓ શક્ય થયા છે. અત્યારે વેબ પર પ્રગટ કરેલ વાંચી, તમારો પ્રતિભાવ જરૂરથી આપશો. અને, હવે સમય સમયે નવી રચનાઓ વેબપાન પર મુકવાનો મારો પ્રયાસ હશે. એથી આજે પધાર્યાનો આનંદ કિન્તુ ફરી ફરી પધારશો એવી આશાભરી નમ્ર વિનંતી.

સૌને જયશ્રી ક્રુષ્ણ.

 

                                  ટુંકી વાર્તા  

 
              સાપ અને લીસોટા
માધવ નગર એક નાનું ગામ છે, અને ગામના તળાવ નજીકનાં ફળીયે એક નાનું પણ સુંદર ઘર છે., જેમાં એક વ્રુધ્ધ કુટુંબ રહે છે- પસાભાઈ અને પ્રેમીબેન. એમને બે દીકરા. મોટો દીકરો રામ અને નાનો શ્યામ. રામ પરણીત છે અને નાનો કુંવારો છે. પણ રામ-શ્યામની જોડીને નિહાળીને સૌ રામ લક્ષ્મણ સજીવન થયા એવું ફળીયે કહેતાં. રામની પત્નીનું નામ સવિતા. રામને સંતાન રૂપે બે દિકરાઓ- દીપક અને પ્રકાશ. જે શ્યામને બહુજ વ્હાલા હતા.
પશાભાઈના ઘરે સૌના મુખે આનંદ હતો. ગામમાં ચર્ચા થતી તો પશાભાઈના કુટુંબની વાત મુખે હોય જ “પશાકાકા કેવા ભાગ્યશાળી છે ! કેવો કુટુંબ પ્રેમભાવ છે….” વળી, વધુ ચર્ચા થતી તેમ સાંભળવા મળતું કે “રામ અને શ્યામની જોડી કેવી સુંદર છે ! ભાઈ-ભાઈનો પ્રેમ તો એવો હોવો જોઈએ !”

 ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

                              કાવ્યો

 

                     નથી હું કવિ, નથી હું કાલિદાસ

 

નથી હું કવિ, નથી હું કાલિદાસ,

બસ, લખું છુ, અને, જરૂર હું પ્રભુનો દાસ !…(ટેક)

 

શબ્દો ચુંટ્યા મેં ગુજરાતી ભાષાના બાગમાંથી,

નથી માળી હું, કરી ભુલો અનેક અજ્ઞાનતાથી,

                              નથી હું કવિ…. (૧)

 

શબ્દો લખ્યા, કિંન્તુ વાક્ય રચનાની આવડત હતી ક્યાં ?

શબ્દે શબ્દે ભુલો, તો બરાબર વાક્ય બન્યુ કહેવાય ના !

                              નથી હું કવિ…. (૨)

 

છતાં, કંઈક લખ્યુ, અને, ફરી લખતો રહું હું,

અરે ! જાણે, કંઈક પ્રભુ પ્રેરણાનો કેદી બન્યો હું,

                               નથી હું કવિ… (૩)

 

આવા લખાણને કાવ્ય નથી કહી લોક ટીકા કરે,

ખરેખર ! કાવ્ય નથી એ જ સત્ય એવું ચંદ્ર સહુને કહે,

                                નથી હું કવિ…. (૪)

 

હવે, ભુલ ભરેલ લખાણ સ્વરૂપે ચંદ્ર કંઈક લખતો રહે,

જેમાં, ભાવનાઓ એના હ્રદયની પીરસી, પ્રભુભજન કરતો રહે !

                                 નથી હું કવિ…. (૫)

 

કાવ્ય રચના:

તારીખ: મે ૩૦, ૨૦૦૧                          ડો.ચંદ્રવદન

 

                  કુદરતનું રહસ્ય

સંસારના ખેતરે ખોદી જમીન પુરૂષાર્થના હળે,

ભક્તિના ખાતર સંગે ધરતીને કર્મબીજ મળે !

જે પ્રેમ નીર સેવા થકી એક સુંદર છોડ બને ! (૧)

 

ભક્તિ ખાતર, પ્રેમ સેવા નીર મળતા રહે,

છોડ નાજુક, મોટો થાય છે ધીરે ધીરે,

હ્રદય દ્વાર ખુલતા, હવાની લહેરમાં,

આશાના ફૂલો ખીલી ઉઠે !                    (૨)

 

ભક્તિ પ્રેમ સેવા મળતા રહે ,

ફૂલોમાંથી નાજુક ફળો બને,

અંતરકરણના દ્વાર ખુલતા,

ફળ પૂર્ણતા કાજે રસ બને !                  (૩)

 

પુરૂષાર્થના કારને ફળ બન્યું ?

કે, ભક્તિ પ્રેમ સેવા કારણે ફળ બન્યું ?

ફળ તો ખરેખર બંને આધારીત થયું,

ચંદ્ર કહે, કુદરતી રહસ્ય એમાં જે રહ્યું તે સૌએ જાણી લીધું !

                                              (૪)

 

 

કાવ્ય રચના

જુન  ,૨૦૦૫                                ડો.ચંદ્રવદન

 

                     હવે શું થાશે ? હવે શું થાશે ?

વર્તમાનમાં રહી, વિચારો મુજને સતાવે,

હવે શું થાશે ? હવે શું થાશે ?…..(ટેક)

 

વિચારવા કંઈક શરૂઆત કરી તો,

ભુતકાળના વાદળો મુજને ઘેરી વળ્યા,

દ્રશ્ય બાદ દ્રશ્ય નજર સામે રમી ગયા,

ગુંચવાય ગયો, મુંઝાઈ ગયો,

ફરી વિચાર આવ્યો : હવે શું થશે ? હવે શું થશે ?

                                   વર્તમાનમાં… (૧)

 

કરેલ કર્મોની રૂપરેખા નિહાળી તો;

કંઈક સારા તો કંઈક ખોટા હતા,

જીવન સફરે જરા પ્રભુ પાસે, છતાં દર્શન એનું ના થયું,

ગુંચવાય ગયો, મુંઝાઈ ગયો,

ફરી વિચાર આવ્યો : હવે શું થશે ? હવે શું થશે ?

                                    વર્તમાનમાં… (૨)

 

ભુતકાળનાં વાદળા દૂર ગયા તો;

ભવિષ્યનું આકાશ ખુલ્લુ થયું,

હ્રદય બુમારીનું ફરી યાદ આવ્યુ,

ગુંચવાય ગયો, મુંઝાઈ ગયો,

ફરી વિચાર આવ્યો : હવે શું થશે ? હવે શું થશે ?

                                    વર્તમાનમાં… (૩)

એક ઓપરેશન થયું હતુ તો ;

ફરી હાર્ટ ઓપરેશન વિધાતાએ લખ્યું શાને ?

હા, ડાયાબીટીસ કારણે, તો એવી બિમારી શાને ?

 ગુંચવાય ગયો, મુંઝાઈ ગયો,

ફરી વિચાર આવ્યો : હવે શું થશે ? હવે શું થશે ?

                                    વર્તમાનમાં… (૪)

 

ફરી ચંદ્રે વર્તમાનમાં પ્રવેશ કર્યો તો ;

ભુતકાળ નિહાળી, સમજાયું કે પ્રભુદર્શન તો હંમેશા જનસેવામાં રહે,

ભવિષ્ય નિહાળતા સમજાયું કે જે કંઈ થશે તે પ્રભુઈચ્છા થી હશે,

હવે, ગુંચવાયો નથી, મુંઝાયેલો નથી,

ફરી વિચાર આવ્યો : જે થશે તે સારૂજ થશે. !

 

કાવ્ય રચના

જુન ૪ ,૨૦૦૫

 

         મુજ જીવન દોર પ્રભુએ વધારી !

ઓ, પ્રભુજી, તું જ છે મારો બેલી,

દયા કરી, તુંજને મારી જીવન દોર વધારી !…(ટેક)

 

૪૪ વર્ષનું જીવન વહી ગયુ,

૪૫મું વર્ષ પુરૂ ના થયું, અને શું રે થયુ ?

અરે ! સમયસર હાર્ટનું બાયપાસ ઓપરેશન કરી,

મારી જીવન દોર, પ્રભુ તે જ લાંબી કરી !

                               ઓ પ્રભુજી… (૧)

 

૬૧ વર્ષનું જીવન વહી ગયું,

૬૨ મું વર્ષ પુરૂ ના થયું, અને શું રે થયુ ?

અરે ! સમયસર હાર્ટનુ એંન્જીયોપ્લાસ્ટી ઓપરેશન કરી

મારી જીવનદોર, પ્રભુ તેં જ લાંબી કરી !

                                ઓ પ્રભુજી… (૨)

 

મુજ જીવન તો વહેતું ગયું,

૬૨ મું વર્ષ પુરૂ પણ થયુ, અને શું રે થયું ?

અરે ! મોટા અકસ્માતમાંથી બચાવી,

મારી જીવનદોર, પ્રભુ તેં જ લાંબી કરી !

                                ઓ પ્રભુજી… (૩)

 

પ્રથમ હાર્ટ ઓપરેશન બાદ,

મુજ જીવન વહે છે સોળ વર્ષનાં બાળરૂપે આજ,

કેટલી જીવન દોર લાંબી પ્રભુએ કરી,

એનું જરા પણ, ચંદ્ર પ્રભુને પુછતો નથી !

                                  ઓ પ્રભુજી… (૪)

 

કાવ્ય રચના

ડીસેંમ્બર ૧૨,૨૦૦૫                  ડો. ચંદ્રવદન

 

                 દામ્પત્ય જીવન

 

જીવન એક સંગ્રામ છે,

ડગલે ને પગલે શૌર્ય ની જરૂરત પડે,

કિન્તુ, વીરતાનો દીપક પ્રજવલિત રાખવા,

સ્નેહનું શુધ્ધ ઘી પુઉરતા રહેવું પડે, (૧)

 

દુ:ખ માનવી-હૈયાને જ્યારે કેદી કરે,

પરસ્પરના હ્રદયને એક કરવું રહ્યું,

દામ્પત્ય જીવનની આ તો એક સાધના રહી,

જે થકી જીવન સંસારમાં ખરું શુખ મળ્યું (૨)

  

વિપત્તિઓ જીવનમાં ઘણી આવી,

વિપત્તિઓ પણ વહેંચી લીધી,

જ્યાં જ્યાં ઘા પડ્યો,

ત્યાં સ્નેહ મલમથી વેદનાઓ રૂજવી લીધી, (૩)

 

ક્યારેક પરસ્પર ગેરસમજ અનુભવી,

રોષ પણ અનુભવ્યો હશે,

છતાં, જ્યાં ગંગાજળ જેવી પવિત્ર સાધના,

ત્યાં અંતે ઉજળું દામ્પત્ય જીવન હશે, (૪)

 

લગ્ન તો કોઈ કરાર નથી,

લગ્ન તો એક પવિત્ર સંસ્કાર છે,

સફળ લગ્ન જીવન માટે જોઈએ ઉંચી હ્રદય સંપત્તિ,

દીપક આવો કોઈ પ્રગટાવશે તો ચંદ્ર આનંદ માનશે

 

કાવ્ય રચના

જાન્યુઆરી ૧૧,૧૯૯૪               ડો. ચંદ્રવદન

 

                      દ્રૌપદી - સત્યભામા સંવાદ

શ્રી ક્રુષ્ણ- સત્યભામા વનમાં રે જાય,

અરે, એ તો દ્રૌપદીને મળવા રે જાય…(ટેક)

 

બેસી દ્રૌપદી સંગે, સત્યભામા વાતો કરે,

કંઈક પુછવું છે, કંઈક પુછવું છે કહેતાં કહે

 

-દ્રૌપદીજી કયા તાવીજે કબજે કર્યા તમે પાંચ પતિ,

ક્રુષણજીને વશ કરવા જાણવું છે મારે,જલદી બતાવોને ઓરે સખી.(૧)

 

શાંત દીલે દ્રૌપદીજી સત્યભામાને કહે છે ત્યારે,

હવે તો મારે કહેવું રહ્યુ,પુછ્યુ છે તમે જ્યારે,

તમે પુછો છો તાવીજ કે એવું છે કે નહી ?

અરે, આવું તો અનાર્ય સ્ત્રીઓ જ પુછે, ઓ સત્યભામા સખી.. (૨)

 

હવે ધ્યાનથી સાંભળજો ઓ રે, સત્યભામા દેવી,

મારી પાસે નથી મંત્ર કે તાવીજ એવી,

છતાં, જાણવું હોય જે કંઈ હું રે કહુ,

કહીશ જરૂર, ભલે હું એને મારો મંત્ર ગણુ(૩)

 

પતિઓ ઉઠતાં પહેલાં હું તો ઉઠું,

એમના સુતા પછી હું તો સુઉ,

પતિ-ઈચ્છાઓ પણ જાણી લઉ,

વળી એ પ્રમાણે હું તો મારૂ વર્તન કરૂ… (૪)

 

 

અરે પાંચે પતિઓને સરખો સ્નેહ આપું,

પાંચ સિવાય ન કોઈનો વિચાર કરૂ,

હું જ્યારે મહારાણી, હતી દાસીઓ મારી પાસે હજાર,

છતાં, ઘરની જવાબદારી મારી હતી, ન આવે બીજો વિચાર (૫)

 

અરે, પતિઓ પછવાડે વન હું રે આવી,

ભોંય પથારીએ સુતા ન આંચ મને આવી,

અરે, અત્યારે ભોગવે છે દુ:ખ પતિઓ મારા,

તો, હું દુ:ખ ભોગવું એમાં નવાઈ શેની ? ઓ રે સખી મારી… (૬)

અરે ચંદ્ર હવે સાંભળજે ને કહેજે સૌને,

આટલો ઉપદેશ આપી કહે છે દ્રૌપદીજી અંતે,

ઓ રે સત્યભામા, તાવીજ કે મંત્રનું કોઈને તમો હવે પુછતાં નહી,

બીજાની આગળ પુછતાં, જશે આબરૂ તમારી… (૭)

 

                     ગાંધારી - ધ્રુતરાષ્ટ્ર સંવાદ

 

 

       

- સાંભળો, અરે, સાંભળો,

- એક કહાની તમે સાંભળો….(ટેક)

અરે ઓ નાથ મારા ધ્રુતરાષ્ટ્રને ગાંધારી કહે,

દુર્યોધન દીકરાએ અનેક અન્યાયો કર્યા

વળી એણે નિ:સહાય નારીના વસ્ત્રો હર્યા

એ તો કરશે નાશ કુળ હમારે,

ન જોઈએ આવો દીકરો મારે,…. (૧)

 

ધ્રુતરાષ્ટ્ર કહે, આવું શું બોલો ગાંધારી તમે,

દીકરો દુર્યોધનતો અતી વ્હાલો મને,

ભલે, એ જેવો હોય રે તેવો,

છે દીકરો આપણો એમાં ઈંન્કાર હોય કેવો ? (૨)

 

 

ગાંધારી કહે, અરે, સ્વામી આવું શું બોલો ?

દીકરો કરે અન્યાય ને તમે ચુપ રહો,

હવે તો એનો ત્યાગ કરો,

તમે અંતરના અંધા નારે બનો, ….(૩)

 

ધ્રુતરાષ્ટ્ર કહે: ડાળે જેમ ફળ ચોંટી રહે,

તેમ દુર્યોધન ચોંટ્યો છે મારા ગળે,

તો દીકરાનો ત્યાગ કેમ કરુ?

આ જીવનભર અંધાનો આધાર એને ગણુ,…. (૪)

 

ગાંધારી ધ્રુતરાષ્ટ્રને સમજાવી અંતે કહે,

ભલે એના હાસ્યમાં મારૂ હાસ્ય વહે,

એના સુખમાં મારૂ સુખ રહે,

કિંન્તુ, હું ત્યાગ કરી શકું તમો શાને ડરો ?….(૫)

 

અરે જન્મથી નેત્રહીન ધ્રુતરાષ્ટ્રે અંતરનયન નવ ખોલ્યા,

- ભૂમિકા એવી હતી મહાભારત પુસ્તક બોલ્યા,

ચંદ્ર કહે, ભલે નિહાળો તમો દેહ નયન ખોલી,

પણ તમે કરજો દર્શન હરદિન અંતર નયન ખોલી.

તા.૪,ઓક્ટોબર ૧૯૯૫             ડો. ચંદ્રવદન

 

                  મમતાની ગોદ

 

ઓ મા, ઓ મારી મા,

ગોદમાં તારી મુજને દે રમવા

બસ એટલું માંગું મારી મા,

ઓ મા, ઓ મારી મા….ઓ મા ….(ટેક)

 

તારા પ્રેમ ઝરણાનું નીર મેં તો ચાખ્યું,

તારા હેત-ભર્યા હાથોએ મુજ મસ્તક પંપાળ્યું,

હવે, તારી હેત-સરિતામાં મને તરવા દે,

ઓ મા, ઓ મારી મા,…. ઓ મા…(૧)

 

તારા ચરણસ્પર્શ કરી હું તો પાયે લાગું,

તારા પગ તળે રહ્યું મારૂ સુખ ને સ્વર્ગ !

હવે, તારા શરણે જીવન મારૂ વહેવા દે,

ઓ મા, ઓ મારી મા,…..ઓ મા…. (૨)

 

તારા હાસ્યમાં મારૂ હાસ્ય,

તારા નયને પ્રભુને નિહાળું,

હવે તો, ચંદ્રને ગોદમાં લેજે,

ઓ મા, ઓ મારી મા……ઓ મા…. (૩)

 

                         ડો. ચંદ્રવદન

 

               માનવ જન્મ

 

અરે ઓ માનવી મળ્યો છે મોંઘેરો માનવજન્મ તને,

કેમ ફેંકી દે છે તું એને ? … (ટેક)

બાળી દે ઈર્ષાને ક્રોધ તારો રે પી જા

આપી દે ક્ષમાને અપમાન તારૂ ગળી જા

આટલું માનવ તું જો કરી શક્યો

તો પ્રેમ જરૂર જીતી શકશો…. અરે ઓ માનવી…

તજી દે સ્વાર્થને છોડ રે મોહ અહીં

વશ કર તારી જીબડીને કર દે ત્યાગી જીવન અહીં

આટલું માનવ તું જો કરી શક્યો

તો શાંતિ જરૂર પામી શક્યો… અરે ઓ માનવી…

સત્ય બોલજેને ચરિત્ર તારું દીપાવજે

લેજે તું જ્ઞાનને દેજે તું દાન રે

આટલું માનવ તું જો કરી શક્યો

તો સેવા જરૂર કરી શક્યો…. અરે ઓ માનવી…

ચંદ્ર કહે ગીતાસાર આ તો રહ્યો

સમજ્યો એને જો તો માનવજન્મ તારો સફળ થયો.

નવેમ્બર ૨૦,૧૯૯૨                ડો.ચંદ્રવદન

 

            કર્મ અને કર્તવ્ય ને ગીતા અર્થ

કર્મ અને કર્તવ્ય વચ્ચે મનુષ્ય મુંઝવણે પડ્યો,

સમજાતું નથી ગીતા અર્થ શું રે રહ્યો ? ….(ટેક)

 

કર્મ તો સૌએ કરવું રહ્યું,

જે કંઈ થઈ રહ્યું એ નિશ્ચિત છે એવું પ્રભુએ કહ્યુ,

પ્રક્રુતિના ગુણો દ્વારા જો બધું થતું રહે,

તો પ્રયત્નો કરવા મિથ્યા બને ! ….મનુષ્ય… (૧)

 

મનુષ્યને ઈચ્છા રૂપી સ્વતંત્રતા મળી,

પ્રક્રુતિરૂપે ભલે જગમાં થતું રહે,

પૂર્ણવિચારથી સ્થિર બની કરજે બધું એવી પ્રભુશીખ સૌને

મળે….. મનુષ્ય… (૨)

 

પ્રક્રુતિ અનુસાર કર્મ થતું રહે ભલે,

પૂર્ણવિચાર દ્વારા જ કર્તવ્ય-સ્વરૂપ એને મળે,

ચંદ્ર કહે, ગીતા રહસ્ય છે આ બે વિચાર-બિન્દુ મહી,

જ્ઞાન જો મનુષ્ય આવું આચરે, જાણજો ગીતા જીવનમાં એણે

ગ્રહી…. મનુષ્ય… (૩)

 

ડો. ચંદ્રવદન

 

સ્વર્ગ ક્યાં

સ્વર્ગ ક્યાં, સ્વર્ગ ક્યાં ? જો પૂછે કોઈ માનવી

(તો) જવાબ રહે મારો, સ્વર્ગ છે અહીં, સ્વર્ગ છે અહીં….(ટેક)

જુઓ પ્રસંગ એક, લગ્ન તણો

જુઓને આનંદ વર-વધુ તણો

આનંદ જુઓ એમનાં માત-પિતા તણો

જુઓને આનંદ સૌ જાનૈયા તણો

અરે, ઓ માનવી મેદનીના આનંદમાં,

નિહાળી લે સ્વર્ગને તું નિહાળી લે,…સ્વર્ગ ક્યાં…

જુઓ પ્રસંગ એક સત્સંગ તણો

નિહાળો આનંદ ભક્તિમાં તલ્લીન સ્ત્રીઓ તણો

નિહાળો આનંદ ભક્તિમાં તલ્લીન પુરૂષો તણો

બાળકો, યુવાનો ને પ્રૌઢો નો આનંદ ઘણો

અરે, આ માનવ મેદની ની ભક્તિમાં

છુપાયેલ સ્વર્ગને ચાખી તું લે,ચાખી તું લે…સ્વર્ગ ક્યાં…

આ સહુ માનવીઓના જગતમાં

સહાય કરતા માનવી એકબીજાને દુ:ખી સમયમાં

જમાડતા જે ગરીબ-ભુખ્યા જનોને ભાવથી,

સારવાર કરતા જે રોગીઓની ભાવથી

અરે ઓ માનવી એવા જગદર્શનમાં,

છુપાયેલ સ્વર્ગને ચાખી તું લે, ચાખી તું લે….સ્વર્ગ ક્યાં…

ચંદ્ર કહે, દૂર નથી સ્વર્ગ, નથી ઉપર કે નીચે,

નિહાળી લે સારા જગમાં છે સ્વર્ગ તારા હ્રદયમાં…સ્વર્ગ ક્યાં…

 ડો. ચંદ્રવદન

 

જીવન સફર

જીવન સફર છે આ લાંબી ઘણી, ગયા થોભી શાને તમો?

ગયા થોભી શાને તમો ?….(ટેક)

લીધો જન્મ તવ બાળપણમાં, માત-શીખ જો મળી,

સગા સ્નેહીઓ, બંધુ ને વળી શાળામાં ગુરૂએ કહી,

સાચા-ખોટાની શીખ મળી, તો છે મુંઝવણ શેની તને?

તો છે મુંઝવણ શેની તને?…જીવન…

ભણી-ગણી થયા મોટા, જાણ્યું ઘણું જગતનું,

પરણીને સંસારી થયા, માયામાં મોહી ગયા

પાપ-પુણ્ય જાણી લીધું, તો છે મુંઝવણ શેની તને?

તો છે મુંઝવણ શેની તને?…જીવન…

જગમાં જીવી રહ્યા, તો કંઈક કરવું રહ્યુ,

દુ:ખીયાને સહાય કે ભુખ્યાને રોટી દેવી રહી,

સત્કર્મ કરવા સૌએ કહ્યું, તો છે મુંઝવણ શેની તને?

તો છે મુંઝવણ શેની તને?…જીવન…

હૈયુ કહે જનકલ્યાણ કરતા પ્રભુનામ લેવું,

મનડું જો સ્થિર કર્યું, થયુ જીવનમાં ‘કંઈક’મળ્યા જેવુ,

મળી તક આવી ભક્તિ કરવા, તો છે મુંઝવણ શેની તને?

તો છે મુંઝવણ શેની તને?…જીવન…

આવી ગયું હવે ઘડપણ, ‘કંઈક’ તમે કર્યુ ખરૂ?

-                સાચું જીવનમાં તમે કર્યુ ખરૂ?

-                પુણ્ય જીવનમાં તમે કર્યુ ખરૂ?

-               સત્કર્મ જીવનમાં તમે કર્યુ ખરૂ?

ભક્તિનું ભાથું જીવનમાં તમે બાંધ્યુ ખરૂ?

કહે ચંદ્ર, રહી ભલે લાંબી જીવન સફર, જલ્દી એ પૂરી થશે.

ડો. ચંદ્રવદન

 

પ્રક્રુતિ અને સંસ્ક્રુતિ

બે સહિયરો, એક પ્રક્રુતિ અને બીજી સંસ્ક્રુતિ,

પ્રક્રુતિ તો શાંત, સૌમ્ય. સ્વસ્થ, ધીર, ગંભીર અને રહસ્યમયી,

સંસ્ક્રુતિ તો ચંચળ, તરંગી, ગર્વિષ્ટ અને તોફાની,

વાદવિવાદ થાય છે બે વચ્ચે, તે સંભળાવે છે એક માનવી !.. (૧)

પ્રક્રુતિ કહે હું મોટી તો સંસ્ક્રુતિ કહે હું છુ મહાન,

બતાવે છે સંસ્ક્રુતિ વિશાળ નગરો, ઈમારતો અને સંસ્ક્રુતિ ભર્યા માનવી,

ત્યારે,પ્રક્રુતિ બનાવે સમુંદરો, પહાડો,મેદાનો અને વન ઉપવનો,

આપ્યો ગુરૂતાનો પરિચય, છતાં, ઝઘડો શાંત ના થયો !…. (૨)

 પોતપોતાની મહાનતાની સાબિતી માટે બંને દોડે,

સંસ્ક્રુતિ તો વિસ્તરી વિસ્તરી પુષ્ટ બને,

પ્રક્રુતિ તો સમેટાઈને ક્ષીણ બને,

હવે, સંસ્ક્રુતિ તો એની વિશાળતાથી અતી ફુલે ! …. (૩)

સંસ્ક્રુતિ ખીલતાં, બહુમાળી ભવ્ય મકાનો અને મહાનગરો,

આકાશને જાણે સ્પર્શતાં મકાનો સાથે તેજ ગતીથી ઉડતા વિમાનો,

ખરે ! આધુનિક માતા સંગે છે વિડિયો ગેમ ખેલતો બાળક !

અને, કેસેટ દ્વારા નાદ-સંગીત, સૂર્ય વિનાના અંધકાર પણ દોડે અજવાળું આગળ આગળ ! …. (૪)

પ્રક્રુતિને બધું બતાવી, સંસ્ક્રુતિ તો ખડખડ હસી પડી,

એ હાસ્યમાં રહી ગર્વથી પૂછયું : હું કે તું મોટી ?

ત્યારે, પ્રક્રુતિ હતી ઉદાસ અને આંખો એની ભીની હતી,

સમાધાન કાજે અંતે બંને સમર્થ રૂષિને મળી ! … (૫)

બંનેએ પોતપોતાની કહાણી કહી મુનીને,

હવે, અમારા બંનેમાં મોટું કોણ એ તો કહોને ?

ત્યારે, રૂષિએ આંખો મીંચી, લીન થઈ ફરી આંખો ખોલી,

અને, “મોટું કોણ ?” પૂછે આતુરતાથી પ્રક્રુતિ-સંસ્ક્રુતિની જોડી… (૬)

રૂષિએ તો ફરી આંખો મીચી લીધી,

ધીર ગંભીર અવાજે એ તો બોલ્યા હ્રદયદ્વાર જ ખોલી,

“પ્રક્રુતિની ગોદમાં જ હંમેશા સંસ્ક્રુતિ જન્મે અને પાંગરે”,

એથી ચંદ્ર કહે, આવી સ્રુષ્ટિ સમજમાં જાણો પ્રક્રુતિ સંસ્ક્રુતિને !

ડો.ચંદ્રવદન મિસ્ત્રી (લેન્કેસ્ટર)

 

હીરા - મોતી ખાણના

અધર્મ અને અનિતિ વડે પાપ મલિન જો મન,

સવળાનું અવળું કહે, દુષ્ટ બુધ્ધિજન,

બુધ્ધિ વગરનું માનવી, સમજો પશો સમાન,

વેર ઝેર જેણે તજ્યા, તેને માનજે એક માનવ મહાન,

રાત પછી દુ:ખ આવતું ‘ને દુ:ખ પછી સુખ જાણ,

કુદરતના આ નિયમને પરમ સત્ય તું જાન,

સુખના સાથી છે સૌ સંસારના, દુ:ખના હોય ના કોઈ,

પ્રભુપંથે સહાયે જે બતાવે, તે સદગુરૂ સમાન જ હોય,

ચંચળ મન કો બાંધ લે, માયા જુઠી જાણ,

સુખ દુ:ખ તો સંસારના, મનમાં કદી ન આણ,

સત્ય ન સંતાડ્યું રહે, ખરો જુઓ એ ખેલ,

આવે જેમ ઉપર તરી , જળ તળિયેથી તેલ,

મર જાઉ માંગુ નહી, અપને તન કે કાજ,

પરમારથ કે કારને, માંગત ના’વે લાજ,

ધન આપ્યું જો ઈશ્વરે, કર પુણ્ય ના કામ,

માની ઉપકાર એનો, સદાભજી લે એનું નામ,

આ શુભવાણી શબ્દો છે અન્યના,

ચંદ્રે કહી દીધા એ તો છે હીરા-મોતી ખાણના !

કાવ્ય રચના

માર્ચ ૨૧, ૨૦૦૫               ડો. ચંદ્રવદન

 

 હે પ્રભુ હું તારી સંમુખે !

હે પ્રભુ, હું તારી સંમુખે ઉભો રહીશ !

દરરોજ સવારે વ્હેલા ઉઠી,

નામ તારૂ મુખે રાખી,

સ્નાન કરતાં ફરી એ ગાઈશ,

પછી, બે હાથ જોડી પ્રાર્થના કરતા,

હું તારી સંમુખે ઉભો રહીશ !….હે પ્રભુ… (૧)

આ ધરતીની અદભુત્તતા નિહાળી,

અપાર અશાઠમાં દૂર દેખી,

એકાંતમાં તારું સ્મરણ કરતા,

નમ્ર હ્રદયે વંદન કરતા,

હું તારી સંમુખે ઉભો રહીશ !….હે પ્રભુ… (૨)

માયાથી ભરપુર આ ભવ સંસાર મહી,

એની વિચિત્રતા માં પણ તારી સુંદરતા નિહાળી,

સર્વ જગજનોની વચ્ચે રહી,

મુજ કર્મો તુજને અર્પણ કરી,

હું તારી સંમુખે ઉભો રહીશ !….હે પ્રભુ… (૩)

તારા આ સંસારમાં રહી,

ભુલો હવે ઘણીજ મારી,

કરો માફ, આંખના અશ્રુઓ તમોને કહે,

અંતે સંસાર માં કામ મારૂ પુરૂ થઈ જશે,

તો, એકલો  હું તારી સંમુખે ઉભો રહીશ !….હે પ્રભુ… (૪)

 હે રાજેશ્વર, હે જીવન સ્વામી,

ચંદ્ર તારી સંમુખે છે, તો લઈલે પ્રેમથી તુજ ગોદમાં સ્વામી

                                                         હે પ્રભુ… (૫)

કાવ્ય રચના

જુલાય ૨૨, ૨૦૦૫                      ડો. ચંદ્રવદન

 

 ભક્તિના ચંદ્રમારગડા

એજ ચંદ્ર મારગડા ભક્તિના,

સંસારમાં રહી, ભજી લ્યો પ્રભુજીને તમો પ્રેમથી,

શાને થાવું રે સંન્યાસી ?          (ટેક)

“પ્રભુ તું છે તો હું છુ” એવો મંત્ર તું બોલ,

નિત્ય બોલી બોલી, “હું પદ” ને તું છોડ,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૧)

“પ્રભુ તું જે કરે તે ખરૂ” એવો મંત્ર તું બોલ,

નિત્ય એમાં પ્રભુઈચ્છા સ્વીકારી, હૈયુ તારૂ તું ખોલ,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૨)

બે મંત્રે કર્મ તું કરતો જા,

અને, કર્તવ્ય-પાલન તું કરતો જા,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૩)

સંસારે ચંદ્રમારગડા અપનાવતા,

મોહમાયાના બંધનો તારા છુટવાના,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૪)

સંસારે વેર ઝેર અભિમાન રે ભાગે,

તન-મન સેવા ભાવનાઓ રે જાગે,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૫)

ચંદ્ર કહે બે મંત્રે પ્રભુશરણું રે લેતા,

હૈયે પ્રભુદર્શન રે કર લેના !

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૬)

 કાવ્ય રચના

મે ૨૯,૨૦૦૩              ડો. ચંદ્રવદન

  

 વિચાર ધારા

દિવસનો પ્રકાશ હોય તો શું ? તમ વિચાર ધારા ચાલુ રહે !

ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો   (૧)

રાત્રીનો અંધકાર હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !

ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો   (૨)

શાંત વાતાવરણ હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !

ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો    (૩)

અશાંત વાતાવરણ હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !

ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો    (૪)

મુશીબતો સામને હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !

 ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો    (૫)

આનંદ હૈયે હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !

ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો     (૬)

મન ચંચળ હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !

ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો     (૭)     

કલ્પના શક્તિ હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !

ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો     (૮) 

ચંદ્ર કહે, વિજય વિચારધારા પર પામતા,

પ્રભુપંથે તમો, તો દુ:ખ ક્યાંથી હોય ?                         (૯)

કાવ્ય રચના

મે ૨૩,૨૦૦૩                                 ડો. ચંદ્રવદન

 

થવાનું જે હશે, તે થશે !

ડાળે કળી, કળી રહી, પુષ્પ ના બન્યું

હવે, શું થાશે ?

એ છોડ પર, નવા પુષ્પોની મહેંક હશે જરૂર !

પવન ફૂંકાયો અને પાન લીલું ખરી પદ્યું,

હવે શું થાશે ?

એ છોડ પર, નવું પાન શોભશે જરૂર !

કળી ખીલી એક પુષ્પ બની સુકાય ગયું,

લીલુંપાન પણ પીળું થઈ જમીનમાં સમાય ગયું,

આ જીવન પણ વહી ગયું અને ઘડપણ આવી ગયું,

ચંદ્ર કહે, હવે થવાનુ જે હશે તે થશે ! ચિંતા શાને કરે ?

કાવ્ય રચના

ઓકટોબર ૩૧,૨૦૦૭              ડો. ચંદ્રવદન

 

હાથીનું કબ્રસ્તાન

આફ્રિકાના જંગલોમાં હાથીનું કબ્રસ્તાન કદી જોયું છે ?

કબ્રસ્તાન તમે જોયું કે નહી,કિન્તુ હાથી વંદન પાત્ર છે ! (ટેક)

હાથી થાય ઘરડો, તો, મરણ નું જ્ઞાન થાય એને,

હવે તો,ઘણા સ્નેહીઓને છોડવાના, ભાન એવું થાય એને

                                               આફ્રિકા… (૧)

 નથી થાવું કોઈને બોજારૂપ, કરે એ નિર્ણય એવો,

પાણી વગર નિર્જન જગ્યા જવા, શોધે એ પંથ એવો,

                                               આફ્રિકા… (૨)

ધીરે ધીરે ઉંચા ઘાસ વચ્ચે, થાકી એ બેસી જાય છે,

બેસી બેસી એ તો મ્રુત્યુની વાટ જુએ છે !

                                               આફ્રિકા… (૩)

 એકવાર જીવ આવી ગયો, ત્યારે ત્યાં એ જ છે એકલો,

એવી જગાને હાથી કબ્રસ્તાન “કહો કે ધરતીનો ઓટલો ?

                                               આફ્રિકા… (૪)

હાથી વંશનું જે કોઈ આવે એવી જગ્યાએ ફરી,

તો ઉભા રહી, દેય છે એ જીવને શ્રધ્ધાંજલી અહી,

                                               આફ્રિકા…. (૫)

 ચંદ્ર કહે, જાણે હાથીમાં માનવતા હજુ ટકી રહી,

અને, માનવીઓમાં માનવતા મરી રહી !

                                               આફ્રિકા… (૬)

કાવ્ય રચના

નવેંમ્બર ૨૬,૨૦૦૭                      ડો. ચંદ્રવદન

 

 એક મિત્રતા

સંસારના સ્નેહસંબંધે, થઈ એક મિત્રતા,

અણમોલ છે મુજ જીવને એ મિત્રતા !        (ટેક)

હ્યુસ્ટનથી રસીકભાઈ મોકલે સુવિચારો અનેક,

શક્ય થઈ જેની કાવ્ય રચના એક,

પ્રગટ કરવા કાજે વિજયભાઈ નું નામ છે ચંદ્ર હૈયે !

                                           સંસાર…(૧)

હ્યુસ્ટનથી ગુજરાતી સમાજનું કાર્ય કરે છે વિજયભાઈ,

મુખપત્રક ‘દર્પણ’ માં રચના પ્રગટ કરવાની સહાય કરનાર છે વિજયભાઈ,

“મોતાડાની જીવન માળા ” દર્પણે વાંચી,ખુશી છે ચંદ્ર હૈયે !

                                           સંસાર…. (૨)

થઈ એક ઓળખાણ બે માનવીઓ વચ્ચે,

જે થકી છે મિત્રતા વિજય-ચંદ્ર વચ્ચે,

જન્મી છે એક મિત્રતા ચંદ્ર હૈયે ?

                                           સંસાર…. (૩)

ફોન, પત્રો દ્વારા ખીલી રહી એ મિત્રતા

હવે તો, ઈ-મે ઈલ દ્વારા બની પુષ્પ એ મિત્રતા,

કોણે મુકી છે આવી મિત્રતા ચંદ્ર હૈયે !

                                           સંસાર….. (૪)

પુર્વજન્મના રૂણ સંબંધે શક્ય આવું થયુ ?

કે, આ જન્મે જ આવું થયુ ?

જવાબ હોય જે કંઈ, હશે ખુશી ચંદ્ર હૈયે

                                           સંસાર….. (૫)

ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી, તો કાવ્ય કોણ કહેશે ?

“હ્રદય ભાવ નું મુલ્ય છે મોટુ” એવા વિજય શબ્દો કાને ગુંજે !

ઉત્સાહ અનોખો વહે ચંદ્ર હૈયે !

                                            સંસાર… (૬)

કાવ્ય સંગ્રહ પુસ્તકો કોમપ્યુટરવેબ પર કેમ નહી ?

“ચંદ્રપુકાર” ની વેબસાઈટ શક્ય થઈ અહીં !

ચંદ્રપુકાર નિહાળી, ખુશી છે ચંદ્ર હૈયે !

                                            સંસાર… (૭)

ફોન, પ્રશ્નો અને ઈમેઈલ થી મળ્યા છીયે અમો,

હજુ રૂબરૂ એક બીજાને મળ્યા નથી અમો,

હસ્ત મેળાપ સહીત ભેટી, હશે ખુબ આનંદ ચંદ્ર હૈયે !

                                             સંસાર… (૮) 

કાવ્ય રચના

નવેંમ્બર ૨૯, ૨૦૦૭                          ડો. ચંદ્રવદન

 

                   ચંદ્ર સુવિચારો

 

(૧)  મળશ્કે એક ઝાંકળનું ટીપુ,

સૂર્ય કિરણ સાથે ઉડીગયું,

                કોઈ કહે એ તો વાદળ થયું

                પડ્યું એક વરસાદનું ટીપુ,

                એજ હશે એવું મારા હૈયે થયું.

 

                       (૨)   મુશળધાર વરસાદ વરસે,

                             વરસાદ પાણી એક ઝરણું બને,

                             વહેતા ઝરણા થકી સરિતા બની,

                             અંતે સરિતા સાગરને મળી,

                             સુર્ય કિરણે સાગર-પાણી વાદળ બને,

                             મુશળધાર વરસાદ ફરી વરસે,

                             આવુંજ ચક્ર આ સંસારનું રહ્યુ,

                             માનવી જાણે છતાં, અજ્ઞાનતામાં એનુ જીવન ગયું.

 

                        (૩)  પાણી થકી આ દેહ, દેહ થકી આ પ્રાણ,

                              પ્રાણ થકી આ જીંદગી, એટલુ તું જરૂર જાણ.

 

                        (૪)  દેહ નભે અન્ન, પાણી થકી,

                              ઔર પ્રાણ કો જ્ઞાન-સત્કર્મ આધાર,

                              માનવ નભે આ દોનો થકી,

                              ઔર દોનો કે લીયે પ્રભુશક્તી આધાર.

 

                                                         ડો. ચંદ્રવદન

 

                                 ચંદ્ર સુવિચારો

 

                                   “મૌનતા”

 

(૧)  કડવા શબ્દો મત કહો, ધન્ય છે તમ મૌનતા !

      અસત્ય નિભાવ્યું જો તમે, ધિક્કાર છે તમ મૌનતા !

 

(૨)  લીધી સાધુએ મૌનતા કેરી એક ટેક,

      પ્રભુભક્તિમાં તલ્લીન થયો,ભાન નથી કે કેવો પહેર્યો વેષ.

      લીધી સંસારીએ મૌનતા કેરી એક ટેક,

     માઠુ એ ન બોલી શક્યો, સમજી ગયો જીવન જીવવાનો કંઈક ભેદ

 

                      (૩) ખુલ્લે નયને જગત નિહાળી, મુખે મૌનતા, એ મૌનતા રહી અધૂરી,

                       બંધ નયને, મન શાંતી જાળવી, મુખ મૌનતા, એ મૌનતા બન ગઈ પુરી.

                                       

                              ચંદ્ર સુવિચારો

 

(૧) ભક્તિ પંથે અંધકાર દૂર કરી, જાગ્રુત બની,પ્રભુપ્રકાશનો લ્હાવો લ્યો.!

 

(૨) નાસ્તિક એમ માને કે પ્રભુ જેવું તત્વ છે જ નહી.નાસ્તિક એની માન્યતામા રહી ભલે એ પ્રભુતાની કબુલાત ન કરે કિન્તુ એનો આત્મા પ્રભુતત્વનું કંઈક કહેતો જ રહે છે !

 

 

(૩) પ્રભુભક્ત એમ માને કે પ્રભુતત્વ જ સૌનો આધાર છે ! એ સંસારની માયા ધીરેધીરે છોડી પ્રભુતાને પામવા પ્રયાસ કરતો રહે છે !

 

(૪) સંસારી માનવી ‘હું પદ’માં રહી ‘હું કરૂ હું કરૂ’ એવા ભ્રમમાં રહી પ્રભુને ભુલે છે. જ્યારે એને એની મુર્ખતાનું ભાન થાય છે ત્યારે એનું ‘હું પદ’ આપોઆપ છુટે છે.

 

ફેબ્રુઆરી ૧૯,૨૦૦૮

 

                        કાવ્ય

 

            માનવ જીવન જીવવાનો કક્કો

“ક,ખ,ગ” એટલે કમાવું, ખાવું અને ગમ્મત મોજશોખમાં ગાવું,

આવી “ક,ખ,ગ”ની જીંદગી ના માનવ મારે ના રે થાવું

ચાલો, માનવ જીવન જીવવાનો કક્કો શીખીયે આપણે આજે ! (ટેક)

“ઘ” એટલે જીવનમાં ઘસાતુંના બોલી, જાતે ઘસાઈ ઉજળા થઈએ,

”ચ” એટલે ચતુરાઈ ભર્યું જીવન જીવી આગેકુચ કરીયે,

”છ” એટલે બીજાને છેતરવાની દાનત જીવનમાંથી છોડીએ,

”જ” એટલે કામ કરતા જશની અપેક્ષા વગર અન્ય સાથે સારા સંબંધો રાખી જીવીએ,

“ઝ” એટલે ઝટપટ પ્રત્યુતર આપી કોઈનું દિલ દુભાય એવું વર્તન ના કરીએ,