Archive for November, 2007
સુવિચાર
- ભજન કે પ્રાર્થના એટલે
પ્રભુ સાથે વાર્તાલાપ,
જેમાં પ્રભુજીનાં ગુણગાન ગાતાગાતા
એની પરમકૃપા
મેળવી એનું જ શરણું સ્વીકારવું
પ્રાર્થના-ભજનોમાં હ્ર્દયભાવ
ભરતા પ્રભુકૃપા આપોઆપ મળે જ છે.
- સંતસંગમાં કે પછી એકલા બેસી
તમોએ ભજન પ્રાર્થના કરી. એ પ્રથમ આનંદ ની
વાત છે.
આ પ્રભુ સાથેના વાર્તાલાપમાં મન કદી ભટકતુ રહ્યું
હોય, તો એ સંસારી માનવ માટે સ્વભાવીક છે.
કિંન્તુ, એવી યાદ સાથે સાચા દિલે ક્ષમાયાચના કરતા પ્રભુ એ જરૂર સાંભળે છે. એવી ક્ષમાયાચના રૂપી વંદના એ બીજી આનંદની વાત છે. આ બંન્ને આનંદની વાતોનું મિલન એટલે પ્રભુ સાથે હ્રદય ભાવથી થયેલ સંવાદ….યાને પ્રાર્થના.
- લાકડી પથ્થર પર ઘસતા ઘસતા બન્યુ ચંદન
એવી રીતે, દેહને ઘસી ઘસી આત્મા શુધ્ધ કરો !
ઓકટોબર ૨૭, ૨૦૦૭
- શું લાવ્યા હતા કે તમે કંઈ ગુમાવ્યુ ,
જે કંઈ મેળવ્યું અહીં તે તમારૂ નથી ,
બસ, આ બે વિચારોમાં રહેશો
તો, હંમેશા આનંદમાં તમે હશો !
ઓક્ટોબર ૨૭, ૨૦૦૭
- પ્રેમ સરિતામાં સ્નાન કરતા પ્રેમ મળ્યો ,
ભક્તિપંથે ચાલતા, આ જીવન સફળ થશે.
ઓક્ટોબર ૨૮, ૨૦૦૭
9 comments November 29, 2007
શેઠનો કૂતરો
એક મોટા શહેરમાં એક આલિશાન બંગલો હતો. બંગલાને ફરતે સુંદર ફુલોથી ભરપુર બાગ હતો. જે બંગલાની સુંદરતા દીપાવતો હતો. એક ધનવાન વેપારી એનો માલિક હતો. બંગલામાં વેપારીનો પરિવાર હતો…સાથે, અનેક નોકર-ચાકરો અને એક કૂતરો.‘શેઠનો પ્યારો’ તરીકે સૌ કોઈ કૂતરાની ઓળખાણ આપતા.
દરરોજ કૂતરો બંગલામાં રહેતા માણસોને નિહાળતો રહ્યો. સૌના મોજશોખ આનંદ નિહાળતો . કૂતરો રાત અને દિવસ બંગલાની ચોકી કરતો. જ્યારે પણ માલિક બોલાવતો એ તરત હુકમનુ પાલન કરતો. માલિકના એક ઈશારાને એ તરત સમજી જતો. બંગલામાં રહેતા બાળકો અને નોકરો પણ કૂતરાને પ્રેમથી બોલાવતા.
એક દિવસ કૂતરો બહાર બેઠોબેઠો વિચારે ચડ્યો. એ માલિક અને એમના પરિવારનાં મોજશોખને યાદ કરવા લાગ્યો. જેમજેમ બંગલે વિતાવેલ દિવસો યાદ કરતો ગયો તેમતેમ એને એના જીવન પર નફરત થવા લાગી. એને મનમાં થયુ : “મારે શા માટે હુકમનુ પાલન કરવુ? હું કેમ મારી ઈચ્છા પ્રમાણે બધુ ન કરી શકું ? અરે મારે શા માટે બંગલાની ચોકી કરવી… ? બસ, આટલા વિચારોમાં ડુબી એ તો પ્રભુને પૂછવા લાગ્યો, ઓ પ્રભુ, શા માટે તમોએ મને કૂતરો બનાવ્યો ? મારો શો ગુનો કે મને આવો ઉતમ મનુષ્ય જન્મ ન મળ્યો ?
બસ, આટલું મનમાં વિચાર્યુ ત્યાંતો કૂતરાને કંઈક ‘દિવ્ય દર્શન‘ થયા. એની નજર સામે એનો પુર્વજન્મ ખુલ્લો થઈ ગયો. એણે નિહાળ્યું કે પુર્વજન્મમાં એ એક ધનવાન શેઠ હતો. અને એના ઘરે એક કૂતરો હતો. એણે પોતાને ધનવાન શેઠ સ્વરૂપે કૂતરાને ખીજાતો, મારતો નિહાળ્યો. રડતો રડતો કૂતરો શેઠનું કામ કરતો ગયો અને અંતે પુણ્યનું ભાથુ લઈ ગુજરી ગયો. શેઠ પણ પાપોનું ભાથુ લઈ ગુજરી ગયો. આ બંન્નેના મરણના દર્શન સાથે કૂતરાને ભાન થયું કે આ જીવનમાં થયેલ શેઠ એ પુર્વ જન્મનો કૂતરો. આ જ્ઞાન સાથે કૂતરાનો અંધકાર દૂર થઈ ગયો.
કૂતરો ફરી શાંત વાતાવરણમાં બંગલાની બહાર બેઠો હતો ત્યારે ફરી એના મનમાં વિચાર આવ્યા: “મારા પુર્વજન્મનુ જાણી મને મારા આ અવતારનું રહસ્ય મળી ગયુ…..અને, મારા પુર્વજન્મના વર્તનની સરખામણીમાં આ જન્મે આટલો બધો પ્રેમ મને જે મળી રહ્યો છે એમાં પ્રભુની દયા છે. આ સ્વીકાર સાથે એણે પ્રભુ શરણું લઈ લીધુ.
વહેલી સવારે કૂતરો એના શેઠ પાસે દોડી ગયો અને વ્હાલથી ચાટવા લાગ્યો. એના મસ્તકે શેઠનો પ્રેમભર્યો હાથ ફર્યો અને એ આનંદથી નાચવા લાગ્યો.
7 comments November 29, 2007
તળાવની માછલી
તળાવનાં પાણીમાં વહેલી સવારના એક માછલી વિચારમાં પડી: ” પાણી બહાર પશુ-પક્ષીઓ, જીવજંતુઓ કેટલાં આનંદમાં રહે છે.! મનમાં આવે તે પ્રમાણે એઓ કરી શકે છે. મારે કેમ ફક્ત પાણીમા જ રહેવું પડે ? …તે પણ આ તળાવમા જ રહેવું પડે ?”…આવા વિચાર સાથે તળાવ, જેઓનું ઘર હતુ, તે જેલ લાગ્યુ અને એક ધ્યાનમા રહી એણે પ્રભુને પ્રાર્થના કરી : “હે પ્રભુ ! તું દયાળુ છે., મને પાણી બહાર જીવી શકાય એવું જીવન આપ.” પ્રાર્થના સાંભળી પ્રભુ પ્રગટ થયા અને માછલીને કહ્યું “તથાસ્તુ ! તારી ઇચ્છા પ્રમાણે તને તારુ જીવન અને તારી ઇચ્છા પ્રમાણે તારા સગા-સ્નેહીઓને એઓનુ જીવન તુ આપી શકશે.!” આટલી પ્રભુવાણી બાદ, માછલી એના ધ્યાનમાંથી જાગ્રુત થઈ અને એવો કુદકો માર્યો કે સીધી તળાવની પાળે પડી. હવે, પાણી બહાર તે શ્વાસ લેતી હતી. બહાર ઠંડા પવનની મહેંક હતી. એ તો હર્ષથી નાચવા લાગી. અને તળાવ પાણી તરફ નજર કરી પૂકાર કર્યા “મિત્રો બહાર આવો હવે આપણે તળાવ ને પાણીની બહાર જીવી શકીયે છીએ. હવે, આપણે તળાવ ના કેદીઓ નથી.” આવા શબ્દો સાંભળી તળાવની સર્વે માછલીઓએ પાણી બહાર જોયું….તળાવ બહાર તળાવની એક પાળે માછલીના ન્રુત્યથી સૌને અચંબો થયો. જરા પણ વિચાર કર્યા વગર નાની-નાની અનેક માછલીઓ તેમજ વ્રુધ્ધ માછલીઓ તળાવ પાળે આવવા લાગી.મોટી મા-બાપ માછલીઓ તેમજ વ્રુધ્ધ માછલીઓ થોડા વિચારમાં પડ્યા “આ કંઈ સ્વપન તો નથીને ?” એમના બાળકોને તળાવ બહાર કાંઈ તકલીફ ન હતી. અનેક માછલીઓ એ તળાવ બહાર જવા નિર્ણય લીધો. કોઈ કુદકાં મારી તળાવ પાળે તો કોઈક ધીરેધીરે પેટે લસરી તળાવ પાળે પહોંચી. તળાવ પાસે થયેલ માછલીઓ ના ટોળામાંથી કોઈએ મોટા ઝાડના થડ નજીક, કોઈએ નાના છોડો નીચે તો કોઈએ પથ્થરો વચ્ચે પોતાના ઘર બનાવી દીધાં. તળાવ તરફ નજર કરી સૌએ તળાવની હાંસી ઉડાવી.
થોડો સમય આનંદમાં વહી ગયો. શાંત વાતાવરણ હતું. એવા શાંત સમયે ગામના ફળીયાની એક બિલાડી તળાવ નજીક આવી. માછલીઓની સુગંધથી એ લલચાય અને એ તો વહેલીવહેલી તળાવ પાળ આવી ગઈ.એક માછલીને તળાવ પાસે કુદકા મારતી નિહાળી અને એણે તો એક તરાપ મારી અને માછલીને એના મોંમા મૂકી દીધી. શાંતિથી બે-ત્રણ માછલીઓ નુ ભોજન કરી બિલાડી ચાલી ગઈ. ત્યાર બાદ, બે-ત્રણ ગોવાળનાં બાળકો માછલી પકડવાના સાધનો સાથે તળાવ પાસે આવ્યા. તાજીતાજી જીવતી માછલીઓ ને તળાવ પાસે રમતી નિહાળી એ ઓ તો હર્ષથી નાચવા લાગ્યા. અને કહેવા લાગ્યા : “હવે તો આ સાધનની જરૂર નથી.” ખુશી સાથે મનગમતી માછલીઓને પોતપોતાના વાસણોમાં મૂકી તળાવ પાળ છોડી ચાલ્યા ગયા. જતાં-જતાં એઓ કહેતાં ગયા : “માછલીઓ માટે ફરી આવીશું !”
હવે સાંજનો સમય થઈ ચૂક્યો હતો. પ્રથમ માછલી જેણે પ્રભુવાણી સાંભળી હતી એ હજું સલામત હતી. એણે બિલાડી અને ગોવાળના બાળકોને તળાવ પાસે નિહાળ્યા હતા.જે થયુ તેથી એ માછલી ફરી વિચારમાં પડી અને મનમાં કહેવા લાગી : ” આ જીવન તે કેવું ! જરાપણ સલામતી નથી. આના કરતાં તો તળાવમાં મારૂ જીવન સારૂ હતું.” આવા વિચાર સાથે એણે પ્રભુને ફરી યાદ કર્યા. પ્રભુએ દર્શન આપ્યા અને કહ્યું ” હું તારા પર ખુશ છું . તારી ઈચ્છા પૂર્ણ કરીશ. માંગ જે માંગવુ હોય તે માંગ !” પ્રભુના આવા શબ્દો સાંભળી માછલી પ્રભુને કહેવા લાગી : ” પ્રભુ, તમોએ મોટું તળાવ અમને આપ્યું હતું, તમોએ અમારા રક્ષણનો પણ વિચાર કર્યો હતો. હા, કોઈવાર મુસીબતો હતી, કિંન્તુ અમારૂ જીવન સલામત હતું. તળાવ અમારૂ ઘર છે…. એ જેલ નથી. દયા કરી પ્રભુ અમોને ફરી તળાવમાં જીવન જીવવાની શક્તિ આપો !” મુખ પર મીઠાં હાસ્ય સાથે પ્રભુ બોલ્યા: “તથાસ્તુ !” આટલું કહી પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. માછલીઓએ તળાવ પાસેથી કુદકાં માર્યા અને તળાવના પાણીમાં સૌ આનંદથી તરવાં લાગ્યા.
સૌ આનંદથી તળાવમાં તરી રહ્યા હતાં ત્યારે એકસ્થાને સ્થિર થઈ પેલી માછલી ફરી વિચાર કરતી હતી “પ્રભુએ જે કાયામાં જેવી રીતે જન્મ આપ્યો એને સ્વીકારી આનંદ સહિત પ્રભુનો પાડ માનવો રહ્યો” બસ, આટલા વિચાર સાથે એ માછલીના અંધકાર દૂર થઈ ગયા હતા અને તળાવમાં તે આનંદ સહિત તરતી હતી. તળાવનો પોતાના ઘર તરીકે એણે સ્વીકાર કર્યો હતો, તળાવ હવે એને જેલ જેવું લાગતુ ન હતું.
8 comments November 29, 2007
એક પાણીનું ટીપુ

પાણીનું ટીપુ વિચાર કરે : ” હું કોણ ?” જગત પરનું બધું એણે નિહાળ્યુ. વાવ – કુવાઓ અને
તળાવો તેમજ ઝરણા – નદીઓ અને સરોવરો નિહાળી કહેવા લાગ્યું કે : ” આ બધા મારા લીધે છે.” મોટા સમુદ્રો અને મહાસાગર તરફ આંગળી કરી ગર્વથી કહેતું રહ્યુ કે : ” આ પણ મારૂ જ સ્વરૂપ છે .” જગત પરની સર્વ વનસ્પતિ, જીવજંતુ અને પ્રાણીઓમાં પાણીનો અંશ છે એવું દર્શાવી એણે એવો દાવો કર્યો કે : ” આ બધા તો મારી ક્રુપાથી જીવી રહ્યા છે.” જગતના માનવીઓ કરતાં પણ એણે એની કિંમત વધુ ગણી અને એના ગર્વની સીમા ન રહી. હવે તો એ આકાશ તરફ જોવા લાગ્યું, અને બોલ્યું : ” આ બધા વાદળો મારા લીધે, અને હું જ મેઘરૂપે જમીન પર વરસુ. હું જો જમીન પર ન આવું તો સૌનો નાસ જરૂર….અરે, હું જ સૌનો પ્રાણ છું.”
પોતે ઇશ્વર છે એવું માની, હવે એ પાણીનું ટીપું ગર્વથી નાચવા લાગ્યું. એણે ઉપર આકાશમાં, સવારના સુરજને નિહાળ્યો….તેમજ, રાત્રીના ચંદ્ર, તારલા અને ગ્રહો વિષે વિચારી, ગર્વમાં સ્નાન કરી કહેવા લાગ્યું : ” આ સર્વ પણ મારા લીધે નભી રહ્યા છે.” અરે, અંતે એ પાણીનું ટીપું બોલ્યું : ” આ અખિલ બ્રહ્માંડ મારે લીધે જ છે !” આવા મહાભ્રમના ચક્કરમાં પાણીનું ટીપુ હતું ત્યારે અચાનક પવન આવ્યો. ફુલના છોડ પરનું પાન હાલ્યું, અને પાણીનું ટીપું નીચે પડવા લાગ્યું. પડતાં પડતાં જ્યારે સુરજના તેજમાં પીગળતું હતુ ત્યારે ગળગળતા સ્વરે એ પાણીનું ટીપુ કહી ગયુ : ” હું તો પ્રભુનુ બનાવેલુ એક રમકડુ હતુ. અજ્ઞાનતાનાં અંધકારમાં રહી મેં અતિ ગર્વ કર્યો હતો. પ્રભુ મને માફ કરો…”
3 comments November 29, 2007
સ્વાગત
સ્વાગત
તારીખ નવેમ્બર,૨૨, ૨૦૦૭ના શુભ દિવસે મારી વેબ્સાઈટ
“ચંદ્રપૂકાર ” ની શરૂઆત ” માનવ જીવન સફર “થી કરી
ખુબ જ આનંદ થયો.
” ભલે પધાર્યા ” વિભગે સૌનું સ્વાગત તો હંમેશા હોવા છતા
“હોમ ” પર આ બીજી પોસ્ટરૂપે સૌને હોમ પર મુકેલી
નવી નવી પોસ્ટો નિહાળવા ભાવભરી વિનંતિ છે.
આવશોને ? ચંદ્
Add comment November 26, 2007
માનવ જીવન સફર
સુખ અને દુખ બંને જેને પ્રભુની પ્રસાદી દેખાય
એણે જ જીવનમાં સમતોલન મેળવ્યુ કહેવાય
વિધાતા જે સ્વરુપે જે કંઈ આપે તે સ્વિકારવુ રહે
ક્યારેક હસતા તો ક્યારેક રડતા એને ભોગવવુ પડે
જિંદગી તો એક લાંબી સફર છે..
તે મારા આપણા અને તમારા વચ્ચે વહેતુ ઝરણુ છે.
બદલતી દુનિયામાં નિર્ભય બની આગેકૂચ કરતા રહો
દરેક બદલાવમાં નવી ખુશી માણતા રહો
માનવને કર્મ કરવાનો જ અધિકાર મળ્યો
ફળ તો એના સમયે મળશે જ એ અફર સત્ય છે.
જે થયુ તે સારૂં, અને હવે જે થશે તે પણ સારૂ હશે
પ્રભુકૃપા કેવી રીતે ઉતરે તે કોઈ ના સમજ્યુ કે ના સમજશે
મૃત્યુ તો ક્ષણ માત્રની ઘટના છે, તો ડર શાનો?
પ્રભુનો ઉપકાર માની પુરી જીવન સફર કરી લે
શ્રી વિજયભાઈ શાહની “પૂ મોટાભાઈ” પત્રશ્રેણી વાંચતા વાંચતા ‘કોઈક શબ્દો અને કોઈક વાક્યો’ મેં વીણ્યા અને એ આધારીત સર્જાયેલ કાવ્ય રચના અત્રે મુકુ છું.
કાવ્ય રચના
નવેમ્બર 1, 2007
4 comments November 22, 2007

